
રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષાનું આયોજન સુચારૂ, પારદર્શક અને ભયમુક્ત બને તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વિભાગોને સંકલિત રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. શહેર અને જિલ્લામાં ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે પોલીસ તંત્રને વિશેષ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.
આ વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા કેન્દ્રો શોધવામાં સરળતા રહે તે હેતુથી QR કોડ આધારિત સુવિધા શરૂ કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષા કેન્દ્રનું સચોટ લોકેશન સરળતાથી મેળવી શકશે. સાથે જ પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની પૂછપરછ માટે તા. ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ૦૨૬૧-૨૬૬૨૯૦૨ નંબર પર કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓને માનસિક અને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે હેતુથી DEO કચેરી દ્વારા ‘પરીક્ષામિત્ર હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન હેઠળ વિવિધ વિષયોના કુલ ૧૯૦ અનુભવી શિક્ષકો તથા ૨ મનોવૈજ્ઞાનિકો મળી કુલ ૧૯૨ માર્ગદર્શકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે GSRTC દ્વારા ૧૪ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂરદરાજના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અડચણ ન આવે.
બેઠક દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાએ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત સ્થિતિમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવનારા પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે લાજપોર જેલમાંથી પણ ધોરણ ૧૦ના ૧૮ અને ધોરણ ૧૨ના ૧૪ મળી કુલ ૩૨ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે, જે સર્વસમાવેશક શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલ આ સર્વાંગી આયોજનથી સુરત જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સફળ રીતે યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 📚





