
કેન્દ્રિય બજેટ 2026-27ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજી દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે “રિફોર્મ એક્સપ્રેસ”ને વધુ ગતિ આપતું બજેટ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસની ભાવનાથી તૈયાર થયેલું આ બજેટ ત્રણ મહત્વપૂર્ણ ફરજોને પૂર્ણ કરે છે. પ્રથમ ફરજ તરીકે દેશના આર્થિક વિકાસને વેગ આપવાનો સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. બીજી ફરજ અંતર્ગત જનઆકાંક્ષાઓને પૂર્ણ કરી લોકોની ક્ષમતા નિર્માણ (Capacity Building) પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે ત્રીજી ફરજ રૂપે “સર્વાંગી વિકાસ”ના વિઝન સાથે સુસંગત એવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ ખાસ કરીને ગુજરાત માટે મહત્વપૂર્ણ જાહેરાતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે લોથલ અને ધોળાવીરાને દેશના પુરાતત્વીય હેરિટેજ ક્લસ્ટર ટુરિઝમ વિકાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાતમાં પર્યટન ક્ષેત્રને નવી દિશા મળશે અને “વિરાસત ભી, વિકાસ ભી”ના અભિગમને વધુ મજબૂતી મળશે.
આ ઉપરાંત ટેક્સટાઈલ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલ 6 નવી યોજનાઓ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે લાભદાયી સાબિત થશે. આ યોજનાઓથી રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટ MSMEથી લઈને મોટા ઉદ્યોગો સુધી સૌ માટે પ્રોત્સાહક સાબિત થશે. સ્ટાર્ટઅપ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા ક્ષેત્રે લેવામાં આવેલા નિર્ણયો દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
કેન્દ્રિય બજેટ 2026-27 દેશના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે અને ગુજરાતને વિકાસના નવા અવસરો પ્રાપ્ત થશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.





