
તા. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ઐતિહાસિક મહાશિવરાત્રિ મેળાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રિ મેળામાં પ્રથમવાર સાધુ-સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહાશિવરાત્રિ મેળાની વ્યવસ્થાઓ અને આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મહાશિવરાત્રિ મેળાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બનાવવા માટે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અડચણ વિના ભગવાન ભોલેનાથના દર્શનનો મહત્તમ લાભ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.
આ વર્ષે રવેડીના દર્શન માટેના રૂટને 500 મીટરથી વધારીને 2 કિલોમીટર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે અને ભીડ નિયંત્રણમાં રહે.
મેળાના સમગ્ર રૂટને ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભિત કરવામાં આવશે. વિવિધ શિવમય શણગાર, લાઈટિંગ અને ધાર્મિક પ્રતીકો દ્વારા સમગ્ર વિસ્તારને આધ્યાત્મિક માહોલ આપવામાં આવશે. ઉપરાંત, શાહી સ્નાનના પાવન પ્રસંગે મહાશિવરાત્રિ મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જેથી દેશ-વિદેશમાં રહેલા ભક્તો પણ આ દૃશ્યોનો લાભ લઈ શકે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓ માટે તમામ વિભાગોને સંકલન સાથે કામ કરવા સૂચના આપી હતી. આ વર્ષે મહાશિવરાત્રિ મેળો ભક્તિ, સંસ્કૃતિ અને સુવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





