
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ ખાતેથી રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતાં કુલ ₹215 કરોડના 26 વિકાસકાર્યોની ભેટ આપી. આ પ્રસંગે તેમણે ₹143.67 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 18 વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું તેમજ ₹71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 નવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસયાત્રામાં નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થતાં જૂનાગઢ શહેરના સૌંદર્ય અને પર્યટન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાનો છે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢના પ્રખ્યાત ઢોલકવાદક શ્રી હાજીભાઈ કાસમભાઈ મીર, જેને લોકપ્રિય રીતે ‘હાજી રમકડું’ તરીકે ઓળખવામાં આવે છે, તેમને પદ્મશ્રી એવોર્ડ મળવાના ઘોષણાં બદલ વિશેષ સન્માન આપ્યું. લોકસંસ્કૃતિ અને પરંપરાગત કલાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવી એ ગુજરાત માટે ગૌરવની બાબત હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને જાહેર સુરક્ષાને પ્રાધાન્ય આપીને જનકલ્યાણના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.
આ વિકાસ પ્રવાસના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ વંથલી ખાતે ₹4.25 કરોડના ખર્ચે નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ આરોગ્ય કેન્દ્રથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે જ, કેશોદ ખાતે ₹10.12 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેનાથી આગ સલામતી અને આપત્તિ પ્રતિસાદ ક્ષમતા વધુ મજબૂત બનશે.
આ તમામ વિકાસકાર્યો થકી જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં જીવનમાન સુધારાશે, રોજગારની તકો વધશે અને પ્રદેશના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.





