
નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ગૌરવભરી ઉપસ્થિતિમાં આન, બાન અને શાન સાથે હર્ષોલ્લાસપૂર્વક યોજાઈ હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ઉપસ્થિત નાગરિકોમાં ઉત્સાહ છલકાઈ ઊઠ્યો હતો.
રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઈએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ ભારતીય બંધારણના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સરકાર, સમાજ અને નાગરિક સૌએ એકસાથે પ્રયત્ન કરવો જરૂરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે આત્મનિર્ભરતા, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક વિશ્વસનીયતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય સુશાસન અને વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધી રહ્યું છે.
તેમણે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મત્સ્યોદ્યોગ, ઉદ્યોગ, શહેરી વિકાસ અને પર્યટન સહિત વિવિધ વિકાસલક્ષી યોજનાઓની વિગત આપી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે હાથ ધરાયેલા વિકાસ કામોની પણ તેમણે પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રીમતી ક્ષિપ્રા આગ્રે તથા મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ દળોની શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, એકતા અને વિકાસના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





