
પ્રભાસ તીર્થ સોમનાથના પાવન પરિસરમાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભરી અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. દેશની લોકશાહી પરંપરા, બંધારણના મૂલ્યો અને રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રતિબિંબિત કરતી આ ઉજવણીમાં ભક્તો, સ્થાનિક નાગરિકો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર પરિસર તિરંગાના રંગે રંગાઈ ગયો હતો અને દેશભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લેહરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન ગવાયું હતું, જેમાં ઉપસ્થિત તમામ નાગરિકોએ ગૌરવપૂર્વક ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં ટ્રસ્ટી શ્રી પી.કે. લેહરીએ જણાવ્યું હતું કે, “પ્રજાસત્તાક પર્વ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતને બંધારણ સ્વરૂપે પ્રાપ્ત થયેલી મૂળભૂત અને ન્યાયિક અસ्मિતાનું જીવંત પ્રતિક છે.” તેમણે આ અવસરે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ દળ, ઘોડેસવાર દળ અને સુરક્ષા દળો દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી. પરેડ દરમિયાન શિસ્ત, સમર્પણ અને દેશસેવાના ભાવનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું, જેને દર્શકોએ તાળીઓ સાથે આવકાર્યું.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન બેન્ડ વાદન, શાસ્ત્રીય નૃત્ય, રાસ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું સુમેળભર્યું પ્રદર્શન કર્યું. કલાકારોની પ્રસ્તુતિઓએ ઉપસ્થિત ભક્તો અને દર્શકોમાં ગૌરવ, ઉત્સાહ અને આનંદની લાગણી જગાવી હતી.
પ્રભાસ તીર્થ જેવી પવિત્ર ભૂમિ પર યોજાયેલી આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી એ માત્ર ઉત્સવ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ, લોકશાહી મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનો સંદેશ આપતી બની રહી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌ માટે સ્મરણિય અનુભવ સાબિત થયો.





