
નવ રચિત વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન વિકાસને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ ઘટના નોંધાઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 99.23 એકર જમીનમાં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન વિધિવત રીતે સંપન્ન થયું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ખાદી અને કુટિર ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહી વાતાવરણમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક નાગરિકોમાં વિકાસ અંગે ભારે આશાવાદ જોવા મળ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, દુધવા ખાતે GIDC કાર્યરત થવાથી સ્થાનિક સ્તરે ઉત્પાદનોના મૂલ્યવર્ધનને પ્રોત્સાહન મળશે. આ ઔદ્યોગિક વસાહત ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપશે અને યુવાનો માટે રોજગારની નવી તકો સર્જશે. તેમણે ઉમેર્યું કે, ઉદ્યોગોનું આગમન થવાથી સરહદી વિસ્તારની આર્થિક ગતિશીલતા વધશે અને સમગ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દુધવા ખાતે GIDCનું નિર્માણ થવાથી સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવીન દ્વાર ખુલશે. આ ઔદ્યોગિક વસાહતથી નાના-મધ્યમ ઉદ્યોગોને મજબૂતી મળશે તેમજ ખેતી આધારિત ઉદ્યોગો, ખાદ્ય પ્રક્રિયા અને કુટિર ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.
રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના કારણે હવે ગ્રામ્ય અને સરહદી વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક લોકોના જીવનસ્તરમાં સુધારો થશે.
આ રીતે દુધવા ખાતે GIDC ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન વાવ-થરાદ જિલ્લાને ઔદ્યોગિક નકશા પર મહત્વનું સ્થાન અપાવનાર સાબિત થશે અને ભવિષ્યમાં આ વિસ્તાર વિકાસનું નવું કેન્દ્ર બનશે.





