
જિલ્લાના નાગરિકોની સુખાકારી તથા તેમના વ્યક્તિગત અને જાહેરહિતના પ્રશ્નોના સમયસર નિવારણ માટે આયોજિત “જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી કુલ ૩૧ નાગરિકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ અરજદારોની રજૂઆતોને વ્યક્તિગત રીતે ધ્યાનપૂર્વક સાંભળી હતી. ત્યારબાદ તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે અરજદારોના પ્રશ્નોના નિકાલ માટેની કાર્યવાહી ઝડપભેર, પારદર્શક અને પરિણામલક્ષી રીતે કરવામાં આવે. તેમણે જણાવ્યું કે ફરિયાદોના મૂળ કારણ સુધી પહોંચી યોગ્ય તપાસ કરી યોગ્ય અને ટકાઉ ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા જીપીએફ ફંડની ચુકવણી, અનઅધિકૃત દબાણ દૂર કરવા, જમીનના નકશા સંબંધિત મુદ્દા, પેવર બ્લોક મૂકવા, ગેરકાયદેસર રેતી ખનન, પીવાના પાણીની સમસ્યા, ગામના રસ્તાઓની સ્થિતિ, જમીન સંપાદનના વળતર ચૂકવવા, તેમજ જમીનમાં નામ દાખલ કરવા જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નોના સંદર્ભે સંબંધિત વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી વિશે અરજદારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે અધિકારીઓને સૂચન આપ્યું હતું કે સરકારની માર્ગદર્શિકાઓ અનુસાર તમામ અરજીઓ પર સમયમર્યાદામાં કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી નાગરિકોને વારંવાર કચેરીઓના ચક્કર ન મારવા પડે. તેમણે વહીવટી તંત્રને વધુ સંવેદનશીલ અને જવાબદાર બનીને જનસેવા કરવાની અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર શ્રીમતી મુસ્કાન ડાગર, નાયબ કલેક્ટર શ્રી અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સેજલ સંગાડા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમ નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બનાવતો અસરકારક મંચ બની રહ્યો હોવાનું આ કાર્યક્રમથી સ્પષ્ટ થયું છે.





