ખોરજમાં મારુતિ સુઝુકીનું ₹35,000 કરોડનું મહા રોકાણ: ગુજરાત બનશે વૈશ્વિક ઓટો મેન્યુફેક્ચરિંગ હબ


ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક ઐતિહાસિક માઈલસ્ટોન ઉમેરાયો છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા અમદાવાદ જિલ્લાના ખોરજ વિસ્તારમાં GIDC દ્વારા ઉપલબ્ધ કરાયેલી અંદાજે 1750 એકર જમીન પર ₹35,000 કરોડના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા મેગા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીયુત હિતાશી તાકેઉચી સાથે સત્તાવાર રીતે રોકાણ પત્ર હસ્તાંતર કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારુતિ સુઝુકીના હોલ ટાઈમ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર શ્રી સુનિલ કક્કરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ ગુજરાતને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. આ મહા પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા ચાર અદ્યતન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જે મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની વિશાળ ઉત્પાદન ક્ષમતા ધરાવશે.

મારુતિ સુઝુકીના આ નવા પ્લાન્ટથી સીધા રીતે અંદાજે 12,000થી વધુ લોકોને રોજગારની તક ઉપલબ્ધ થશે. સાથે સાથે, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સીલીયરી યુનિટ્સ, સપ્લાય ચેન અને MSME એકમો વિકસશે, જેના કારણે અંદાજે 7.50 લાખથી વધુ પરોક્ષ રોજગારી સર્જાશે. આ સમગ્ર વિકાસથી એક સુવ્યવસ્થિત ઓટોમોબાઇલ ક્લસ્ટરનું નિર્માણ થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળ વ્યવસાય વાતાવરણને કારણે વૈશ્વિક કંપનીઓ ગુજરાતને પસંદ કરી રહી છે. ખોરજમાં થનારો આ પ્રોજેક્ટ ગુજરાતની ઓટો હબ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવશે અને રાજ્યના સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *