
ઉત્તરાયણના પવિત્ર પર્વ દરમિયાન પક્ષીઓ અને અન્ય નિર્દોષ જીવજંતુઓના રક્ષણ માટે ગાંધીનગરમાં કરુણા અભિયાન અંતર્ગત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી સંરક્ષણ માટે આઠ યુવાનોના સહયોગથી વિશેષ સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા સમાજમાં કરુણા, સંવેદના અને જવાબદારીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ, પ્રાથમિક સારવાર તેમજ મૃત્યુ પામેલા પક્ષીઓના યોગ્ય દફનવિધિ જેવી સેવાઓ નિષ્ઠાપૂર્વક કરવામાં આવી. સંસ્થાએ માત્ર સેવા પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજમાં કરુણાની ભાવના વિકસે તે માટે અનોખો પ્રયાસ પણ કર્યો. ખાસ કરીને યુવાનોને કરુણા અભિયાન સાથે જોડવા માટે વિશેષ પહેલ કરવામાં આવી હતી.
આ અંતર્ગત, પક્ષીઓના બચાવમાં સક્રિય ભૂમિકા ભજવનારા જાગૃત નાગરિકોને સન્માનિત કરીને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા અન્ય નાગરિકોને પણ પ્રેરણા મળે અને વધુ લોકો આ સેવાકાર્યમાં જોડાય તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.
સંસ્થાથી જોડાયેલા મૌલિક શુક્લાએ આ અવસરે જણાવ્યું હતું કે, “ઉત્તરાયણ આપણો મનપસંદ તહેવાર છે, પરંતુ કોઈ પણ જીવના જોખમે આ તહેવાર ઉજવવો યોગ્ય નથી. સરકારની માર્ગદર્શિકા મુજબ પક્ષીઓને નુકસાન ન થાય તે આપણી સૌની જવાબદારી છે.” તેમણે ઉમેર્યું કે સંવેદનશીલતા અને માનવતા જ સાચી ઉજવણી છે.
આ સેવા યજ્ઞ દરમિયાન ગાંધીનગર શહેર વિસ્તારમાં સંસ્થાના ચાર સભ્યો દ્વારા 15 ઘાયલ કબૂતરોનું સફળ બચાવ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, દોરીમાં ફસાયેલા એક કૂતરાના પગમાંથી દોરી કાઢી તેનું ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું હતું. સારવાર બાદ સ્વસ્થ થયેલા કબૂતરોને ખુલ્લા આકાશમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલા એક કબૂતરની વિધિવત દફનવિધિ કરીને દરેક જીવ પ્રત્યે કરુણાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમે ઉત્તરાયણ દરમિયાન માનવતા, સંવેદના અને પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.





