છોટાઉદેપુર તાલુકાના અછાલા–અંબાલા ગામોની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની મુલાકાત, ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ


છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી.

મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા મુખ્યત્વે વીજ પુરવઠા સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી થતી વીજ વિક્ષેપ, લોડ સમસ્યા અને ટેકનિકલ ખામીઓ અંગે ગ્રામજનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં નિયમોનુસાર સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહે તે માટે તાત્કાલિક ટેકનિકલ ખામીઓ દૂર કરવા તેમજ જરૂરી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ ગામની સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે રેશન વિતરણ પ્રક્રિયા, સ્ટોક રજિસ્ટર, ઈ-પીઓએસ મશીન અને લાભાર્થીઓના રેકોર્ડની વિગતવાર તપાસ કરી હતી. કોઈપણ પાત્ર લાભાર્થી રેશન મેળવવાથી વંચિત ન રહે અને વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આગામી હોળીના તહેવાર પૂર્વે યોજાનારા પરંપરાગત ફેણાઇ માતાના મેળાના સ્થળની પણ જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી હતી. મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય સેવા અને સુરક્ષા જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પ્રાથમિક નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આ મુલાકાતથી ગ્રામજનોમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *