
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા મુખ્યત્વે વીજ પુરવઠા સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી થતી વીજ વિક્ષેપ, લોડ સમસ્યા અને ટેકનિકલ ખામીઓ અંગે ગ્રામજનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં નિયમોનુસાર સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહે તે માટે તાત્કાલિક ટેકનિકલ ખામીઓ દૂર કરવા તેમજ જરૂરી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ ગામની સસ્તા અનાજની દુકાનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે રેશન વિતરણ પ્રક્રિયા, સ્ટોક રજિસ્ટર, ઈ-પીઓએસ મશીન અને લાભાર્થીઓના રેકોર્ડની વિગતવાર તપાસ કરી હતી. કોઈપણ પાત્ર લાભાર્થી રેશન મેળવવાથી વંચિત ન રહે અને વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આગામી હોળીના તહેવાર પૂર્વે યોજાનારા પરંપરાગત ફેણાઇ માતાના મેળાના સ્થળની પણ જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી હતી. મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય સેવા અને સુરક્ષા જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે પ્રાથમિક નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આ મુલાકાતથી ગ્રામજનોમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી.





