
ભાવનગર જિલ્લાના હણોલ ગામે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર અને સામાજિક સમરસતાના સંદેશ માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. છેલ્લા 11 દિવસથી આ યુવાનો હણોલ ગામે નિવાસ કરીને ગ્રામજીવન, સહઅસ્તિત્વ, સામાજિક સમરસતા અને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને નજીકથી અનુભવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતની સાચી તાકાત તેની એકતા, વિવિધતામાં સમાયેલ સમરસતા અને સહજીવનની ભાવનામાં છે. ગાંધીજીના વિચારો આજના સમયમાં વધુ પ્રાસંગિક બન્યા છે અને તેને જનજન સુધી પહોંચાડવાની જવાબદારી યુવાનોની છે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે હણોલ ગામમાં અનુભવેલી સમરસતાની ભાવનાને સમગ્ર દેશમાં ફેલાવવાનો સંકલ્પ લે.
હણોલ ગામના ગ્રામજીવન વિશે વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે અહીં લોકો જાતિ, વર્ગ અને ભેદભાવ વિના એક પરિવારની જેમ સાથે રહે છે. આ પ્રકારનું સહઅસ્તિત્વ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, જે આજે શહેરો અને આધુનિક જીવનશૈલીમાં ભૂલાતું જઈ રહ્યું છે. યુવાનો જો આ મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન શક્ય બને.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિ પણ વિશેષ રહી હતી. યુવાનોએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું કે હણોલ ગામે આવીને સાચા અર્થમાં ઘર અને પરિવાર શું હોય છે તે સમજાયું છે. ગામના દરેક લોકો એકબીજાની ચિંતા કરે છે અને સુખ-દુઃખમાં સાથે ઉભા રહે છે, જે અત્યંત પ્રેરણાદાયક અનુભવ છે.
યુવાનોએ વધુમાં કહ્યું કે શહેરોમાં રહેતા લોકોને પણ ગ્રામજીવનના આવા મૂલ્યો અપનાવવાની જરૂર છે. હણોલ ગામ તેમની માટે માત્ર એક ગામ નહીં, પરંતુ જીવંત શાળા સમાન બન્યું છે, જ્યાંથી તેઓ જીવનભર યાદ રાખી શકાય તેવા સંસ્કાર લઈને જઈ રહ્યા છે.
આ સંવાદ કાર્યક્રમ દ્વારા ગાંધી વિચાર, સામાજિક સમરસતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.





