
ભારતીય સંસ્કૃતિ, સ્વાભિમાન અને શૌર્યના પ્રતીક સમાન સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રભાસ પાટણ ખાતે ભવ્ય ‘શૌર્ય સભા’નું આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભાને સંબોધિત કરી ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરા અને આસ્થાના અડગ સંરક્ષણ માટે આપણા પૂર્વજોના બલિદાનને ભાવભર્યો નમન અર્પણ કર્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ય મહાનુભાવો, સાધુ-સંતો તથા ભક્તોની વિશાળ જનમેદની ઉપસ્થિત રહી.
વડાપ્રધાનશ્રીએ પોતાના પ્રેરક સંબોધનમાં જણાવ્યું કે આપણી આસ્થા અને શ્રદ્ધાના રક્ષણ માટે આપણા પૂર્વજોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. પ્રભાસ પાટણની પવિત્ર ધરતીનો કણ-કણ પૂર્વજોના શૌર્ય, પરાક્રમ અને વીરતાનો જીવંત સાક્ષી છે. તેમણે ઉમેર્યું કે સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની અખંડ સંસ્કૃતિ, આત્મવિશ્વાસ અને પુનર્જાગૃતિનું પ્રતીક છે.
વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સંસ્કૃતિના ધ્વજધારકો અને શિવભક્તોએ સોમનાથના ગૌરવ માટે આપેલા બલિદાનોને કારણે જ આજે આપણી સંસ્કૃતિ અખંડ અને અડગ રહી છે. અનેક આક્રમણો અને વિધ્વંસ છતાં સોમનાથ ફરી-ફરી ઉભું થયું, જે ભારતીય સમાજની અદમ્ય શક્તિ અને સંકલ્પનું પ્રતિબિંબ છે. આ ધરોહર નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડીને રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિપ્રત્યે ગૌરવની ભાવના જગાવે છે તેમ તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ ગુજરાતની સંસ્કૃતિક ઓળખ અને ભારતીય મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે શૌર્ય સભા જેવી ઘટનાઓ યુવાપેઢીમાં દેશપ્રેમ, શૌર્ય અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે.
શૌર્ય સભા દરમિયાન ભક્તિમય અને રાષ્ટ્રભાવનાથી ભરેલું વાતાવરણ સર્જાયું હતું. સાધુ-સંતો અને ભક્તોએ સોમનાથના મહિમા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને એકસૂરથી નાદ કર્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતીય સંસ્કૃતિના અજેય મૂલ્યો, શ્રદ્ધા અને શૌર્યનો જયઘોષ બની સમગ્ર દેશને પ્રેરણા આપતો સાબિત થયો.





