
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–સૌરાષ્ટ્ર-કચ્છ (VGRC)નો ભવ્ય પ્રારંભ થયો. આ અવસરે વડાપ્રધાનશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના વિકાસનું “એન્કર રીજન” ગણાવી વૈશ્વિક રોકાણકારોને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું કે રોકાણ માટે “આ જ સમય છે, સાચો સમય છે”, અને સૌરાષ્ટ્ર-કચ્છ ભારતની આગામી ગ્રોથ સ્ટોરીમાં કેન્દ્રસ્થાને રહેશે.
વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું મુખ્ય લક્ષ્ય રાજ્યના વિવિધ વિસ્તારોના “અનટેપ્ડ પોટેન્શિયલને પરફોર્મન્સ”માં પરિવર્તિત કરવાનો છે. રાજકોટ, જામનગર અને મોરબીનો ઔદ્યોગિક ત્રિકોણ આજે “મિની જાપાન” તરીકે ઓળખાય છે, જે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. તેમણે કચ્છમાં વિકસિત થઈ રહેલા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પાર્ક પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે અને ભારતની ગ્રીન ગ્રોથ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે રોકાણકારો અહીં માત્ર MoU કરવા માટે નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની સમૃદ્ધ વિરાસત સાથે જોડાવા આવ્યા છે. આજે ભારત ડેટા આધારિત ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિસર્ચ અને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે તેમ તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” બનીને વિકાસના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના પરિણામે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી 80 MoUથી લઈને 98,000 પ્રોજેક્ટ્સ સુધીની સફળ યાત્રા એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને ગુજરાતને વૈશ્વિક રોકાણનું મુખ્ય કેન્દ્ર બનાવશે.





