
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા **શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’**માં સહભાગી થવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચ્યા હતા. સોમનાથ આગમન સમયે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીનું આત્મીય અને ભાવભીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રીના આગમનથી સમગ્ર સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.
હેલિપેડ ખાતે આયોજિત સ્વાગત-સત્કાર સમારોહમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા તેમજ અગ્રણી શ્રી ડૉ. સંજયભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીના આગમનને લઈ સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને ભક્તોમાં વડાપ્રધાનશ્રીના દર્શન અને આગમનને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા, જે સમગ્ર વાતાવરણને વધુ દિવ્ય અને ઉત્સવી બનાવતું હતું.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રગૌરવને પ્રતિબિંબિત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિથી આ પર્વને રાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પવિત્ર ધરતી પરથી રાષ્ટ્રચેતના, એકતા અને સ્વાભિમાનનો સંદેશ સમગ્ર દેશમાં પ્રસારિત થઈ રહ્યો છે.
વડાપ્રધાનશ્રીના સોમનાથ આગમનથી પ્રભાસ ક્ષેત્રને નવી ઉર્જા અને વૈશ્વિક ઓળખ મળી છે, તેમજ આ પર્વ ભારતની સંસ્કૃતિ અને આસ્થાના ગૌરવનું પ્રતિક બની રહ્યું છે.





