
સુરતની દીકરી અને સમગ્ર દેશમાં “રબર ગર્લ ઓફ ઈન્ડિયા” તરીકે ઓળખ પ્રાપ્ત કરનાર અંવી વિજય ઝાંઝરૂકિયાને પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ યોજાતા રાષ્ટ્રપતિના પરંપરાગત ‘એટ હોમ’ ડિનર કાર્યક્રમમાં વિશેષ આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ માટે અધિકૃત રીતે પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યું છે, જે સુરત સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.
શારીરિક રીતે દિવ્યાંગ હોવા છતાં અડગ મનોબળ, અવિરત મહેનત અને યોગ પ્રત્યેની અનન્ય નિષ્ઠાના કારણે અંવીએ યોગ ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. પોતાની અસાધારણ લવચીકતા અને કઠિન યોગાસનો દ્વારા તેણીએ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. અંવીના અનેક સિદ્ધિઓ અને પુરસ્કારોએ સુરત શહેરનું નામ દેશભરમાં ઉજાગર કર્યું છે અને તે નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થતો ‘એટ હોમ’ કાર્યક્રમ દેશના પ્રતિભાશાળી, સિદ્ધિ પ્રાપ્ત નાગરિકોને સન્માન આપવા માટે જાણીતો છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં અંવી ઝાંઝરૂકિયાને આમંત્રણ મળવું તેના સંઘર્ષ, પ્રતિભા અને દેશ માટેના યોગદાનની રાષ્ટ્રીય સ્તરે થયેલી કદર દર્શાવે છે.
અંવીના પિતા શ્રી વિજયભાઈ ઝાંઝરૂકિયાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “દર વર્ષે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિશ્રી દ્વારા ‘એટ હોમ’ ડિનર યોજવામાં આવે છે, જેમાં મારી દીકરી અંવીને આમંત્રણ મળ્યું છે. આ અમારા પરિવાર માટે અણમોલ સન્માન અને જીવનભરની યાદગાર ક્ષણ છે. અમે ભારત સરકારનો દિલથી આભાર માનીએ છીએ.” તેમણે ઉમેર્યું કે, આ નાની ઉંમરે આ રીતે સન્માન મળતા સમગ્ર પરિવાર ગર્વ અને આનંદથી ભરાઈ ગયો છે.
અંવી ઝાંઝરૂકિયાનું આ સન્માન સુરતની દીકરીઓ, દિવ્યાંગ યુવાનો અને યોગપ્રેમીઓ માટે આશા, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંદેશ બની રહ્યું છે.





