
ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા ગીર સોમનાથ ખાતે આવેલા સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 5 જાન્યુઆરીથી સોમનાથ સ્વાભિમાન પર્વ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ પર્વ 14 જાન્યુઆરી સુધી ચાલનાર છે, જેમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશેષ રીતે ભાગ લઈ રહ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિબિંબ બની રહ્યો છે.
આ પર્વના અવસરે 30 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત આગમન સમયે રાજકોટના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના આગમન સાથે જ સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી છવાઈ ગયું હતું. એરપોર્ટ પર રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓએ વડાપ્રધાનશ્રીનું આત્મીય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના વરિષ્ઠ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢાડિયા, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડૉ. ઓમપ્રકાશ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ પરના સ્વાગત બાદ વડાપ્રધાનશ્રી સોમનાથ માટે રવાના થયા, જ્યાં તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિથી ગીર સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ અને ગૌરવ પ્રાપ્ત થયું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ પરથી રાષ્ટ્રચેતના અને સ્વાભિમાનનો સંદેશ સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો છે. આ પર્વ સોમનાથના ઐતિહાસિક મહત્ત્વને ફરી એકવાર ઉજાગર કરતો ઉત્સવ બની રહ્યો છે.





