
સોમનાથની પવિત્ર ભૂમિ પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન અરબી સાગરના આકાશે સર્જાયેલું અદભૂત દ્રશ્ય સૌ કોઈને મંત્રમુગ્ધ કરી ગયું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાયેલ ભવ્ય ડ્રોન શોમાં લગભગ ત્રણ હજાર ડ્રોન દ્વારા આકાશમાં દિવ્ય ચિત્રો સર્જવામાં આવ્યા, જે આ પર્વનું મુખ્ય આકર્ષણ બન્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ડ્રોન શોએ શ્રદ્ધા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને નવી ઊંચાઈ આપી.
ડ્રોન શો દરમિયાન આકાશમાં ત્રિશૂલ, સોમનાથના શૌર્ય અને સ્વાભિમાનના પ્રતિક એવા વીર હમીરજી, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અદભૂત ચિત્રો રચાયા. આકાશમાં ઝળહળતા આ દૃશ્યોને જોઈને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા. “જય સોમનાથ”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ઉઠ્યું.
ડ્રોન દ્વારા સર્જાયેલ આ કલાત્મક પ્રસ્તુતિએ આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન સંસ્કૃતિના અદ્વિતીય સંગમને રજૂ કર્યો. સોમનાથના ઇતિહાસ, આસ્થા અને રાષ્ટ્રગૌરવને આકાશમાં જીવંત કરતી આ રજૂઆત લાંબા સમય સુધી યાદ રહી જશે તેવી રહી. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ આ અનોખા દ્રશ્યને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી યાદગાર પળો સંચય કરી.
ડ્રોન શો પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર નજીકના દરિયાકાંઠે ભવ્ય આતશબાજી યોજાઈ. રંગબેરંગી ફટાકડાઓથી સમગ્ર દરિયાકાંઠો ઝગમગી ઉઠ્યો. અરબી સાગરના મોજાંઓ અને આકાશમાં ઝળહળતી રોશનીએ સોમનાથની રાતને અલૌકિક બનાવી દીધી.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ આ ડ્રોન શો અને આતશબાજીએ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના અડગ સ્વાભિમાન, સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રચેતનાનું ભવ્ય પ્રદર્શન કર્યું. સોમનાથ ફરી એકવાર વિશ્વપટ પર ગૌરવના પ્રતિક રૂપે ઉજાગર થયો.





