
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસીય ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પવિત્ર પર્વ અંતર્ગત સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક ચેતના અને રાષ્ટ્રીય સ્વાભિમાનને ઉજાગર કરવા 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ધાર્મિક અનુષ્ઠાનનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરস্থিত ધોળેશ્વર મહાદેવના પુરાણપ્રસિદ્ધ મંદિરમાંથી કર્યો હતો. મુખ્યમંત્રીએ શિવલિંગની પૂજા-અર્ચના કરી ઓમકાર નાદના ગુંજારવ સાથે સમગ્ર રાજ્યમાં આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ શરૂ કર્યો હતો. આ અવસરે તેમણે સૌ નાગરિકોને સામૂહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યભરના મંદિરોમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર નાદના ગુંજારવ સાથે ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. “ઓમ”ના પવિત્ર નાદ દ્વારા માનવીના મન, શરીર અને આત્મામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, તેવી ભાવનાને આધારે આ અનોખી ધાર્મિક પહેલ હાથ ધરવામાં આવી છે.
માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાતું આ પર્વ સોમનાથ મહાદેવ સાથે જોડાયેલા અતૂટ આસ્થાના એક હજાર વર્ષોના ઇતિહાસને સ્મરણ કરાવે છે. સામૂહિક ઓમકાર નાદ દ્વારા સમગ્ર સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પર્વ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, વૈદિક મંત્રોચ્ચાર અને ઓમકાર નાદથી રાજ્યભરમાં શાંતિ, સંયમ અને આધ્યાત્મિકતા છવાઈ રહી છે. ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક આ અનુષ્ઠાનમાં જોડાઈ રહ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સનાતન પરંપરા, આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની રહ્યું છે. સામૂહિક ઓમકાર નાદ દ્વારા સમગ્ર દેશને આધ્યાત્મિક એકતાની અનુભૂતિ કરાવવાનો સંદેશ આ પર્વ દ્વારા આપવામાં આવી રહ્યો છે.





