
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે ગુજરાતના લોકપ્રિય લોકગાયક કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે ભક્તિ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના ભાવથી ઓતપ્રોત એવા શિવ આરાધનાના ગીતોથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆત શિવ મહિમાના ગાનથી થઈ હતી. “નગર મેં જોગી આયા… અગડ બમ, અગડ બમ…” જેવા ગૂંજતા ભજનોએ હાજર ભક્તોમાં અદભૂત ઉત્સાહ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. શિવભક્તિના આ સૂર સાથે મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સંગીતમાં તલ્લીન થઈ ભક્તિરસમાં ડૂબી ગયા હતા.
લોકસાહિત્ય અને હાસ્યના સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે દ્વારા રજૂ કરાયેલ રસાળ સાહિત્યિક પ્રસ્તુતિએ કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું હતું. તેમના વિચારોમાં સંસ્કૃતિ, જીવન મૂલ્યો અને સનાતન પરંપરાનું ઊંડું દર્શન જોવા મળ્યું, જેને પ્રેક્ષકોએ ખૂબ સરાહ્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર સંગીતનો જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ગૌરવને ઉજાગર કરતો એક દિવ્ય અનુભવ બન્યો હતો. લોકસંગીત, ભક્તિગીતો અને સાહિત્યના સંગમથી આ સ્વાભિમાન પર્વે નવી પેઢીમાં પણ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આસ્થા જગાવી છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા, પ્રકાશ વ્યવસ્થા અને ધ્વનિ પ્રણાલીએ પણ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનું અદ્વિતીય ઉદાહરણ બનીને યાદગાર રહ્યો હતો.





