
આધ્યાત્મિક શ્રદ્ધા, ભક્તિ અને દિવ્ય અનુભૂતિનો અદ્વિતીય સંગમ એટલે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’. એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે 51 શક્તિપીઠોના આધ્યાત્મિક દર્શનનો લાભ અપાવતો આ મહોત્સવ આગામી તા. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી ત્રણ દિવસીય રૂપે યોજાવાનો છે. દેશભરમાંથી હજારો માઈભક્તો આ મહોત્સવમાં જોડાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
આગામી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026ના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વિવિધ વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજનને લઈને સંપૂર્ણ તૈયારી દર્શાવવામાં આવી છે.
મહોત્સવ દરમિયાન માઈભક્તોને પાર્કિંગની સુવિધા, સ્વચ્છતા વ્યવસ્થા, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ તેમજ નિઃશુલ્ક ભોજન (ભંડારા) સહિત તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બને તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ એ છે કે માઈભક્તોને એક જ પરિક્રમામાં ભારતના 51 શક્તિપીઠોની આધ્યાત્મિક અનુભૂતિ થશે. આ પરિક્રમા મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, શક્તિ ઉપાસના અને એકતાનું પ્રતીક છે. માતા શક્તિ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે લાખો ભક્તો આ પરિક્રમામાં જોડાઈ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશે.
બેઠકના અંતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે દેશભરના માઈભક્તોને આગામી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026માં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વહીવટી તંત્ર શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા સંપૂર્ણ રીતે સજ્જ છે.
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026 ભક્તિ, વ્યવસ્થા અને આધ્યાત્મિક ઉર્જાનો મહામિલન બની યાદગાર બનશે.





