
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના નાના અને મોટા ઉદ્યોગકારોના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તો તેઓ વધુ પ્રમાણમાં રોકાણ કરીને પોતાના વ્યવસાયને વિસ્તારી શકે છે. ગુજરાત સરકાર ઉદ્યોગમૈત્રી અભિગમ સાથે કામ કરી રહી છે અને ઉદ્યોગકારો સાથે સતત સંવાદ રાખીને વિકાસને નવી ગતિ આપવા પ્રતિબદ્ધ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છના ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ઉદ્યોગકારોએ વિવિધ ક્ષેત્રોમાં આવતા અડચણો, મંજૂરી પ્રક્રિયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, પાણી અને નીતિ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. સરકાર તરફથી દરેક પ્રશ્નને ગંભીરતાપૂર્વક સાંભળીને તેનો વ્યવહારુ અને ઝડપી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અવસર પર નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ માટે માત્ર સંવાદ પૂરતો નથી, પરંતુ સંબંધિત તમામ વિભાગો વચ્ચે સમન્વય પણ અત્યંત જરૂરી છે. આ હેતુસર રાજકોટમાં તમામ વિભાગોની સંયુક્ત ગ્રુપ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ઉદ્યોગકારોની રજૂઆતો પર ચર્ચા કરીને તાત્કાલિક કાર્યવાહી માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી.
શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તાર ઉદ્યોગ વિકાસની વિશાળ ક્ષમતાઓ ધરાવે છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઉદ્યોગલક્ષી નીતિઓ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે આ વિસ્તાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ઉદ્યોગકારો વધુ રોકાણ કરે તે માટે સરકાર તેમની સાથે ભાગીદાર તરીકે ઉભી છે.
અંતમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સંકલનથી રોજગારીની નવી તકો સર્જાશે, સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે અને ગુજરાતનું ઔદ્યોગિક વિકાસ મોડેલ દેશ માટે ઉદાહરણરૂપ બનશે. રાજકોટમાં યોજાયેલ આ સંવાદ અને સંકલન બેઠક રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.





