
‘ગૌ સેવા એ જ પ્રભુ સેવા’ની ભાવનાને જીવનમાં ઉતારીને પશુપાલન ક્ષેત્રે અનોખું અને પ્રેરણાદાયી કાર્ય કરી રહેલા ગાંધીનગર જિલ્લાના સાંતેજ ગામના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલને ‘શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. પશુપાલનને માત્ર વ્યવસાય નહીં પરંતુ સેવા તરીકે અપનાવીને મહેન્દ્રભાઈએ ગૌમાતાની સંભાળ સાથે સ્વાવલંબન અને આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ ઊભું કર્યું છે.
મહેન્દ્રભાઈ પટેલના તબેલામાં હાલ 70થી 80 ગાયનો વિશાળ પરિવાર છે, જેમાં મોટાભાગે ગુજરાતની પ્રસિદ્ધ દેશી ઓલાદ ‘ગીર ગાય’નો સમાવેશ થાય છે. દેશી ગાયોના સંવર્ધન અને યોગ્ય સંભાળ પર તેમણે વિશેષ ધ્યાન આપ્યું છે. તેઓ ગાયોને માત્ર ઘાસ પૂરતું જ નહીં, પરંતુ ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું સંતુલિત મિશ્રણ તૈયાર કરીને ‘બેલેન્સ્ડ ડાયેટ’ આપે છે, જેના કારણે ગાયોની તંદુરસ્તી તેમજ દૂધ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
હાલની સ્થિતિએ મહેન્દ્રભાઈ પાસે 20થી વધુ દૂધણી ગાયો છે, જે દરરોજ સરેરાશ 120 લીટર જેટલું દૂધ આપે છે. આ દૂધમાંથી શુદ્ધ દૂધ અને ઘીનું વેચાણ કરીને તેઓ દર મહિને સારી એવી આવક મેળવે છે. સાથે સાથે ગાયના છાણમાંથી બનાવવામાં આવતા વર્મી કમ્પોસ્ટ ખાતર દ્વારા તેઓ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જૈવિક ખાતરની ખેતી ક્ષેત્રે વધતી માંગને કારણે પશુપાલન સાથે ખેતી પણ વધુ લાભદાયી બની છે.
મહેન્દ્રભાઈ પટેલની મહેનત, લગન અને ગૌ સેવામાં નિષ્ઠાને માન આપતાં રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવશે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર પશુપાલન ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
મહેન્દ્રભાઈનું જીવન અને કાર્ય અન્ય ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ છે. ગૌ સેવા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે પશુપાલન કરવામાં આવે તો ઓછા સંસાધનમાં પણ સ્થિર આવક અને આત્મસંતોષ પ્રાપ્ત કરી શકાય છે, તેવો સંદેશો તેઓ સમાજને આપી રહ્યા છે.





