જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિર યોજાઈ, ૩૦૦થી વધુ પશુપાલકોએ લીધો લાભ


જૂનાગઢ જિલ્લાના બીલખા ખાતે જિલ્લા કક્ષાની બીજી પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકાના કુલ ૩૦૦થી વધુ પશુપાલકોએ ભાગ લઈને વિવિધ સેવાઓ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.

આ શિબિરના અધ્યક્ષ તરીકે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાએ ઉપસ્થિત રહી પશુપાલકોને સંબોધન કર્યું હતું. તેમણે પશુપાલકોને વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે આધુનિક પદ્ધતિઓ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈને પશુપાલન વ્યવસાયને વધુ લાભદાયી બનાવી શકાય છે. તેમણે પશુપાલનને આવકનું મજબૂત સાધન બનાવવાની દિશામાં સતત પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે પશુપાલકોને પોતાની તંદુરસ્તી જાળવવા સાથે પશુપાલન દ્વારા આર્થિક રીતે સધ્ધર બનવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પશુપાલન વ્યવસાય અપનાવી પશુપાલકો પોતાના પરિવાર, ગામ, રાજ્ય અને દેશની આર્થિક ઉન્નતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. સાથે સાથે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અંગે વધુ માહિતી માટે જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનો સંપર્ક કરવા સૂચન પણ કરવામાં આવ્યું હતું.

શિબિરમાં પશુપાલનના મુખ્ય ચાર આધારસ્તંભો — પશુપસંદગી, પશુઆરોગ્ય, પશુપોષણ અને પશુસંવર્ધન — અંગે નાયબ પશુપાલન નિયામક ડૉ. ડી.ડી. પાનેરા તથા ડૉ. એ.પી. ગજેરા દ્વારા વિગતવાર અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી. પશુપાલન સંબંધિત પ્રશ્નો અંગે પશુપાલકો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવા બદલ જૂનાગઢ તાલુકા પશુદવાખાનાના ડૉ. સુરેશ દુધાત્રા, ડૉ. જુહી ચૌહાણ તેમજ તાલુકા પશુપાલન વિભાગની સમગ્ર ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ શિબિર પશુપાલકો માટે માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ હતી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *