
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ૫૪મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યભરના ૩૫૦૦થી વધુ આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ રાજ્યકક્ષાના અધિવેશનમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી નવી પહેલો, વહીવટી સુધારાઓ અને ભવિષ્યની દિશા અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે.” શિક્ષક અને આચાર્ય રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ છે અને તેમની ભૂમિકા સમાજના સર્વાંગી વિકાસમાં અતિ મહત્વપૂર્ણ છે. તેમણે આચાર્યશ્રીઓને બદલાતા સમય સાથે શિક્ષણમાં નવીનતા, મૂલ્ય આધારિત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો.
ડૉ. વાજાએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા વધારવા સતત પ્રયત્નશીલ છે. ડિજિટલ શિક્ષણ, આધુનિક પદ્ધતિઓ અને શિક્ષકોના તાલીમ કાર્યક્રમો દ્વારા શાળાઓને વધુ સશક્ત બનાવવામાં આવી રહી છે.
અધિવેશનમાં પ્રભારી મંત્રીશ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ (NEP) વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ બનાવશે. આ નીતિ હેઠળ વિચારશક્તિ, કુશળતા વિકાસ, નવીન અભિગમ અને સ્થાનિક ભાષાઓના પ્રોત્સાહન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે આચાર્યશ્રીઓને નવી શિક્ષણ નીતિના અસરકારક અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.
આ અધિવેશન દરમિયાન શૈક્ષણિક સુધારા, શાળાઓનું વહીવટ, વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસક્રમ, શિસ્ત અને નૈતિક મૂલ્યો જેવા મુદ્દાઓ પર વિવિધ સત્રો યોજાયા. આચાર્યશ્રીઓએ પોતાના અનુભવ અને સૂચનો રજૂ કરી શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી.
અંબાજી ખાતે આયોજિત આ ૫૪મું અધિવેશન રાજ્યના શિક્ષણ જગત માટે માર્ગદર્શક સાબિત થશે અને ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને નવી દિશા આપશે.





