
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ 2026ના પ્રથમ સૂર્ય કિરણને યોગ, સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા આત્મિક અને આરોગ્યસભર રીતે આવકારવામાં આવ્યો. “નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર” કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાગરિકોએ પ્રાતઃકાળે સૂર્ય ઉપાસના કરીને નવા વર્ષની મંગલમય શરૂઆત કરી. આ અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગુજરાત સાથે દેશ-વિદેશના એક લાખથી વધુ નાગરિકો જોડાયા.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમને વિશાળ પ્રતિસાદ મળ્યો. યુવાનો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૂર્યોદય સાથે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને ધ્યાન કરીને લોકોમાં શારીરિક તેમજ માનસિક સ્વસ્થતાનો સંદેશ આપવામાં આવ્યો.
1 જાન્યુઆરી 2026ના પ્રથમ સૂર્યોદયને વધાવવાના આ પ્રયાસમાં ખાસ કરીને યુવાનો આગળ આવ્યા. વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિ, યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષને આવકારવામાં આવ્યું. આ પહેલે યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ઊભી કરી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ અવસરે જણાવ્યું કે સૂર્ય ઉપાસના અને યોગ દ્વારા નવા વર્ષની શરૂઆત કરવી એ માત્ર પરંપરા નથી, પરંતુ સ્વસ્થ સમાજની દિશામાં એક મજબૂત પગલું છે. તેમણે ઉમેર્યું કે સૂર્ય કિરણ સાથેની નવા વર્ષની તંદુરસ્ત શરૂઆત યુવાનોના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને પ્રગતિ માટે આશીર્વાદરૂપ બનશે.
ગુજરાત સરકાર યોગ અને આરોગ્ય જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ છે. આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન મળે છે. વર્ષ 2026ના પ્રથમ સૂર્ય કિરણને યોગ અને ધ્યાન સાથે વધાવવાની આ અનોખી ઉજવણી રાજ્ય માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની છે, જે ભારતીય સંસ્કૃતિ અને આરોગ્યપ્રદ જીવનનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે.





