
ભારતની અદ્યતન અને આધુનિક રેલ સેવા વંદે ભારત એક્સપ્રેસમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરથી મુંબઈ સુધીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું અત્યંત વિનમ્ર ભાવથી અભિવાદન ઝીલ્યું અને સહજ તથા આત્મીય સંવાદ સાધ્યો. રાજ્યપાલશ્રીની સરળતા અને સૌજન્યભર્યા વ્યવહારે મુસાફરોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
વંદે ભારત એક્સપ્રેસને ભારતની તકનિકી ક્ષમતા, આત્મનિર્ભરતા અને આધુનિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. ગાંધીનગરથી મુંબઈ સુધીના પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ટ્રેનની સુવિધાઓ, સ્વચ્છતા, ઝડપ અને આરામદાયક વ્યવસ્થાનો અનુભવ કર્યો. તેમણે જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘નવા ભારત’ની પ્રગતિ અને વિકાસ યાત્રાનું જીવંત ઉદાહરણ છે.
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવેમાં વ્યાપક સુધારા અને આધુનિકીકરણ કરવામાં આવ્યા છે. આ પ્રયાસોના પરિણામે રેલવે આજે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની છે. સ્વદેશી ટેકનોલોજીથી બનેલી વંદે ભારત ટ્રેન ભારતની ઇજનેરી ક્ષમતાનો ગૌરવભર્યો દાખલો છે.
પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ મુસાફરો સાથે વાતચીત કરી તેમની સુવિધાઓ, અનુભવો અને સૂચનો અંગે જાણકારી મેળવી. મુસાફરોએ પણ વંદે ભારત એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેન શરૂ કરવા બદલ કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવેનો આભાર વ્યક્ત કર્યો. ખાસ કરીને સમય બચત, આરામદાયક બેઠકો, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ માટે વંદે ભારત ટ્રેનને લોકોએ ખૂબ સરાહના આપી.
અંતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આવી આધુનિક રેલ સેવાઓ દેશના આર્થિક વિકાસ, પર્યટન અને રોજગારની તકો વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વંદે ભારત એક્સપ્રેસ ભારતને વૈશ્વિક સ્તરે આધુનિક અને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મજબૂત પગલું છે.





