
ગુજરાત રાજ્યએ કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષ 2026ની શરૂઆતમાં રાજ્યને મળેલી અનોખી ભેટ તરીકે ગિફ્ટ સિટીમાં ‘ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (IAIRO)’ની સ્થાપનાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર રાષ્ટ્રીય સ્તરની એઆઈ સંશોધન સંસ્થા સ્થાપિત થવાની છે.
IAIRO 1 જાન્યુઆરી, 2026થી કાર્યરત થશે. આ સંસ્થા ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગ જગતની ભાગીદારી સાથે PPP મોડેલ પર સંચાલિત થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલો આ નિર્ણય ગુજરાતને ઉદયમાન ટેકનોલોજી અને નવીનતાના વૈશ્વિક નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરશે.
IAIROનો મુખ્ય હેતુ ભારતને એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નેતૃત્વ આપવાનો છે. સંસ્થા દ્વારા એઆઈ સંશોધન, નવી ટેકનોલોજી વિકાસ, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન, તેમજ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવામાં આવશે. સાથે જ, એઆઈ માટે કુશળ અને ભવિષ્યલક્ષી માનવ સંસાધન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ગિફ્ટ સિટી પહેલેથી જ ફિનટેક, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ અને નવીન ટેકનોલોજી માટે જાણીતી છે. હવે IAIROની સ્થાપનાથી ગિફ્ટ સિટી એઆઈ સંશોધન અને નવીનતાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. આ પહેલથી યુવાનોને ઉચ્ચ ગુણવત્તાની તાલીમ, સંશોધનના અવસરો અને રોજગારની નવી શક્યતાઓ મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આ પહેલ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે. IAIRO ભારતને એઆઈ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ગુજરાતને ઉદયમાન ટેકનોલોજી ઇનોવેશનનું અગ્રણી રાજ્ય બનાવશે.





