
રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિ સાથે પોતાનો અવિસ્મરણીય જોડાણ દર્શાવ્યું. રાજ્યપાલશ્રીએ લુણીવાવ ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સાદગી, સમરસતા અને ગ્રામિણ જીવન પ્રત્યેની પોતાની લાગણીને સ્પષ્ટ કરી. તેમના આ પગલાએ ગ્રામજનોમાં આત્મીયતા અને ગૌરવની લાગણી જન્માવી.
વહેલી સવારે રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાના ખેતર પર પહોંચ્યા હતા. અહીં તેમણે ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિના મહત્વ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો. રાજ્યપાલશ્રીએ બળદ ગાડું ચલાવી પરંપરાગત ખેતી પદ્ધતિનો અનુભવ કર્યો, જે ગ્રામ્ય જીવનની મૂળભૂત ઓળખ છે. આ દૃશ્ય ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું.
પછી રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે જ મકાઈની કાપણી કરી અને ગાય માટે ચારો તૈયાર કર્યો. ત્યારબાદ તેમણે ગાયને પોતાના હાથેથી ચારો ખવડાવ્યો અને દોહન પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગાય ભારતીય ખેતી વ્યવસ્થાનો આધાર છે અને પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ અનિવાર્ય છે. ગાય આધારિત ખેતીથી જમીન સ્વસ્થ રહે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પાકની ગુણવત્તા વધે છે.
રાજ્યપાલશ્રીએ પંકજભાઈ મારકણાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા ચણા, વટાણા સહિતના વિવિધ પાકનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન પાકમાં ફૂલ અને ફળની સંખ્યા ખૂબ સારી જોવા મળી હતી. ખાસ કરીને ચણાના છોડ પર ફળ ભરપૂર હતા અને તમામ પાક કીટક તથા બીમારીમુક્ત જોવા મળ્યા હતા. રાજ્યપાલશ્રીએ આ સફળતાને પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.
ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓ છોડીને કુદરત આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી.
લુણીવાવ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરાગત ખેતી અને પ્રાકૃતિક જીવનશૈલીના પ્રોત્સાહન માટે પ્રેરણાદાયક સાબિત થઈ છે અને અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની છે.





