
ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નેપાળના માનનીય રાજદૂત શ્રી ડો. શંકર પ્રસાદ શર્માએ સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રવાસન, માહિતી ટેકનોલોજી (IT), હાઈડ્રોએનર્જી, મેન્યુફેક્ચરિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે વિસ્તૃત વિચારવિમર્શ થયો હતો.
નેપાળના રાજદૂત ડો. શંકર પ્રસાદ શર્માએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલા સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, નવનિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે, તે અન્ય દેશો માટે પણ પ્રેરણારૂપ છે. ખાસ કરીને ઇ-ગવર્નન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગમૈત્રી વાતાવરણ અંગે તેમણે વિશેષ રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પડોશી દેશો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે નેપાળ સાથે પ્રવાસન વિકાસ, હાઈડ્રોએનર્જી પ્રોજેક્ટ્સ, કુશળ માનવ સંસાધન વિકાસ અને શૈક્ષણિક આદાન-પ્રદાન માટે વિશાળ શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની ઉદ્યોગમૈત્રી નીતિઓ અને શિક્ષણ ક્ષેત્રે નવીન પહેલો નેપાળ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ બેઠક દરમિયાન બંને પક્ષોએ ભવિષ્યમાં સંયુક્ત રોકાણ, ટેકનિકલ સહયોગ અને તાલીમ કાર્યક્રમો દ્વારા પરસ્પર લાભદાયક ભાગીદારી વિકસાવવાની તૈયારી વ્યક્ત કરી હતી. નેપાળના રાજદૂતશ્રીએ ગુજરાતની વિકાસયાત્રા અંગે ઊંડો અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને ગુજરાત સાથે સહકાર વધારવા માટે નેપાળ સરકારની સકારાત્મક ભૂમિકા દર્શાવી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી આ સૌજન્ય મુલાકાત ભારત-નેપાળ સંબંધોને નવી દિશા આપતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે, જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક, શૈક્ષણિક અને ટેકનિકલ સહકારને નવી ગતિ મળશે.





