
સુરત શહેરમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે જનભાગીદારીથી રૂ. 1 કરોડના ખર્ચે નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનમાંથી વિભાજન કરીને બનાવાયેલું આ સુરત શહેરનું 41મું પોલીસ સ્ટેશન માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ થયું છે, જે પ્રશાસન અને જનસહયોગનું ઉત્તમ ઉદાહરણ છે.
લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ પોલીસ સ્ટેશન પરિસરમાં લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુરત પોલીસ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે ‘સિંઘમ’ સમાન છે. વરાછા અને કાપોદ્રા વિસ્તાર સુરતના અર્થતંત્રના ફેફસા સમાન હોવાથી અહીં મજબૂત પોલીસ વ્યવસ્થા અત્યંત જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું સુરત શહેર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી તટે થયા હોવાનું માનવામાં આવે છે, જેના સાક્ષીરૂપે અહીં પ્રાચીન કાળથી ત્યાગ અને સેવાનું પ્રતિક એવા ત્રણ પાનના વડનું મહત્વ છે.
અશ્વિનીકુમાર દેવોને દેવોના વૈદ્ય માનવામાં આવે છે, તેમ આ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન સમાજમાંથી અન્યાય, અપરાધ અને કષ્ટ દૂર કરવાનો કાર્ય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. પોલીસકર્મીઓ તાપી નદીના દર્શન કરીને સેવા ભાવ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી.
આ પ્રસંગે રાજ્ય પોલીસની ‘તેરા તુજકો અર્પણ’ પહેલની પણ પ્રશંસા કરવામાં આવી, જેમાં માત્ર એક વર્ષમાં 35,000થી વધુ ચોરાયેલા મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત અપાયા છે. નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વરાછા-કાપોદ્રા વિસ્તારના નાગરિકોને ઝડપી ન્યાય, સુરક્ષા અને વિશ્વાસ પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.





