
રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી સાદગીપૂર્ણ જીવનશૈલીનો જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેમણે રાત વિતાવી, જેનાથી ગ્રામ્ય જીવનની સાદગી, સંયમ અને મૂલ્યો પ્રત્યેનો તેમનો અભિગમ સ્પષ્ટ થયો હતો. આ પ્રસંગે સમગ્ર ગામમાં ગૌરવ અને પ્રેરણાનો માહોલ સર્જાયો હતો.
માનનીય રાજ્યપાલશ્રીએ હંમેશાની જેમ વૈભવી સુવિધાઓથી દૂર રહી, ગામડાની મૂળભૂત વ્યવસ્થાઓ સાથે જોડાઈને રહેવાનું પસંદ કર્યું. લુણીવાવ પ્રાથમિક શાળાના સાદા ઓરડામાં રોકાણ કરીને તેમણે “સાદગી એ જ સાચી સમૃદ્ધિ”નો સંદેશ આપ્યો. તેમના આ પગલાંએ યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને જીવનમાં સરળતા અને સંયમ અપનાવવાની પ્રેરણા આપી.
રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે માન. રાજ્યપાલશ્રીએ શાળાના બાળકો સાથે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો. આ સમયે તેમણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. સાથે જ સ્વચ્છતા, નિયમિત જીવનશૈલી અને આત્મશિસ્ત વિશે બાળકોને માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે શિક્ષણ સાથે સંસ્કારનો સંયોગ જ સશક્ત અને જવાબદાર નાગરિકનું નિર્માણ કરી શકે છે.
આ તકે રાજ્યપાલશ્રીએ ગામડાઓમાં સ્વચ્છતા જાળવવાની આવશ્યકતા, પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન અને સ્વાવલંબનની ભાવનાને મહત્વપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે આધુનિક જીવનશૈલીમાં પણ સાદગી અપનાવવાથી મનની શાંતિ અને સામાજિક સમરસતા વધે છે.
ઉલ્લેખનીય છે કે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમના રાજ્યભરના પ્રવાસ દરમિયાન હંમેશા સાદગીપૂર્ણ જીવનશૈલીને પ્રાધાન્ય આપે છે. તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લે ત્યારે પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સરકારી શાળા, પંચાયત ભવન કે અન્ય સરકારી આવાસોમાં જ રોકાણ કરે છે. તેમનો આ અભિગમ સામાન્ય જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરે છે અને જાહેર જીવનમાં સરળતા તથા પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
લુણીવાવ ગામે કરાયેલું આ રોકાણ માત્ર એક મુલાકાત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સાદગી, સંસ્કાર અને સેવાભાવનો પ્રેરણાદાયી સંદેશ બની રહ્યું છે.





