
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્ય, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા તેમજ બારડોલી નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલે બારડોલી સ્થિત ઐતિહાસિક સ્વરાજ આશ્રમની ભાવપૂર્ણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ સરદાર નિવાસ અને સરદાર સ્મારક મ્યુઝિયમનું નિરીક્ષણ કરી દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને સ્મરણમાં લીધું હતું.
મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવવંદના અર્પણ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્યે સરદાર પટેલના દૃઢ સ્વભાવ અને અડગ નેતૃત્વને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલે અંગ્રેજોની કૂટનીતિને નિષ્ફળ બનાવી દેશના સૈંકડો રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમની કાર્યશૈલી, દ્રષ્ટિ અને રાષ્ટ્રપ્રેમ આજની પેઢી માટે પ્રેરણારૂપ છે.
શ્રી આર્યે ઉમેર્યું હતું કે, સરદાર પટેલનું ખમીર માત્ર રાજકીય દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક એકતા અને રાષ્ટ્રીય અખંડતાના દૃઢ સ્તંભ તરીકે ઓળખાય છે. બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર પટેલના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલો હોવાથી આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વિશેષ છે.
આ અવસરે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ દ્વારા હરિત પર્યાવરણ અને ભાવિ પેઢી માટે સ્વચ્છ પ્રકૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ સમાજને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વરાજ આશ્રમના ટ્રસ્ટીઓ, સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બારડોલી સ્વરાજ આશ્રમની આ મુલાકાત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્ર એકતાના મૂલ્યોને યાદ કરાવતી બની હતી.





