
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ક્ષયરોગ (ટીબી)ની આધુનિક તપાસ અને સારવાર સેવાઓ અંગે ખાનગી તબીબોને માહિતગાર કરવા માટે CME (Continuing Medical Education) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલવટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલોદ અને લેમડી વિસ્તારના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તથા આયુષ પદ્ધતિના ખાનગી ડોક્ટરોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
CME દરમિયાન જિલ્લામાં તેમજ ઝાલોદ તાલુકામાં ટીબી રોગની વાસ્તવિક સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે ખાનગી તબીબો સરકારના વિવિધ માર્ગદર્શિકાઓ મુજબ ટીબી રોગની તપાસ, નિદાન અને સારવારમાં કેવી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા ક્ષય અધિકારી દ્વારા સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ડેઇલી રેજિમેન, જીન એક્સપર્ટ (GeneXpert), CBNAAT, ટ્રુનેટ (TrueNat) અને CY TB ટેસ્ટ જેવી આધુનિક તપાસ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્ય વિભાગની સૂચનાઓ અનુસાર TB સારવાર માટે અપડેટેડ રેજિમેન અંગે પણ ખાનગી ડોક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા. તમામ ટીબી દર્દીઓનું ‘નિક્ષય’ પોર્ટલ પર નોંધણી કરવી, દર્દીને દત્તક લઈ ‘નિક્ષય મિત્ર’ બનવાની યોજના, તેમજ TB મુક્ત ભારત અભિયાન અને TB મુક્ત ગ્રામ પંચાયત જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી.
CME દરમિયાન MDR-TB (મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી)ના નિદાન, સારવાર અને ફોલો-અપ અંગે પણ અપડેટ અને વિગતવાર માહિતી આપવામાં આવી. MDR-TB દર્દીઓમાં દેખાતી સંભવિત આડઅસરો અને તેની સારવાર કેવી રીતે કરવી તે અંગે તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી દર્દીઓને વધુ અસરકારક અને સુરક્ષિત સારવાર મળી શકે.
આ CMEમાં ઝાલોદ IMAના પ્રમુખ ડૉ. રાજેશ લાબાણા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોર સહિત આશરે 45 જેટલા ખાનગી તબીબોની હાજરી રહી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા CMEને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રકારના કાર્યક્રમોથી TB મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.





