
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આયોજિત ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નો ભવ્ય અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો. મંત્રીશ્રીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં યાત્રિકોએ ઘેલા સોમનાથ મંદિરથી પદયાત્રાનો પ્રસ્થાન કર્યો હતો. આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક એકતા, જનકલ્યાણ અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપતી યાત્રા તરીકે પણ મહત્વ ધરાવે છે.
પદયાત્રા ઘેલા સોમનાથથી માધવીપુર થઈને ગોડલાધારના માર્ગે આગળ વધતી ગઢડીયા (જસ) ગામ સુધી પહોંચી હતી. યાત્રાના માર્ગ દરમિયાન ગ્રામજનો દ્વારા યાત્રિકોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ભજન, ભક્તિગીતો અને શિવ સ્તુતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પદયાત્રાના અંતિમ તબક્કે મંત્રીશ્રી ગઢડીયા (જસ) ખાતે આવેલા આકાશી મેલડી માતા મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પદયાત્રાના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા (જસ) ગામ ખાતે યાત્રિકો માટે વિસામાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાના મંદિર નજીક મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યાત્રિકોની વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જનકલ્યાણ, સામાજિક સમરસતા અને ધાર્મિક મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનપત્રો તેમજ જનહિત માટે ફંડ-સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યાત્રિકોની સુવિધા માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં યાત્રિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ દ્વારા ધાર્મિક આસ્થાની સાથે સાથે સમાજસેવા અને લોકકલ્યાણનો સંદેશ આપવામાં આવ્યો છે. આ પદયાત્રા આગામી દિવસોમાં પણ વિવિધ ગામોમાંથી પસાર થઈ જનસંપર્ક અને જનજાગૃતિનું કાર્ય કરશે, તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે.





