
નરદીપુરના ગામની ગૃહિણી કૃષ્ણાબેન વાઘેલા આજે ગુજરાતની હજારો મહિલાઓ માટે પ્રેરણાનું સ્રોત બની છે. સામાન્ય ગૃહિણી તરીકે જીવન શરૂ કરનાર કૃષ્ણાબેન આજે ‘લખપતિ દીદી’ બની ગૃહિણી હોવા છતાં ઉદ્યોગસાહસિક તરીકે 10 થી 12 અન્ય મહિલાઓને રોજગાર પૂરો પાડી રહી છે.
કૃષ્ણાબેન વાઘેલાની આ આત્મનિર્ભરતા સફર કાલોલ તાલુકાના નરદીપુર ગામમાંથી શરૂ થઈ હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સીમિત હતી, પરંતુ સપનાઓ મોટા હતા. તેમણે હંમેશા ઈચ્છ્યું હતું કે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને. એ દરમ્યાન તેમને ગુજરાત સરકારની નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન (NRLM) એટલે કે ‘મિશન મંગલમ’ યોજના વિશે માહિતી મળી.
કૃષ્ણાબેનએ પોતાના ગામની અન્ય મહિલાઓને એકત્ર કરી ‘જય અંબે સખી મંડળ’ બનાવ્યું. શરૂઆતમાં મંડળ નાની બચતથી કામ શરૂ કરતું હતું. ત્યારબાદ સરકાર તરફથી રીવોલ્વિંગ ફંડ અને બેંક લોન મળી. NRLM સાથે જોડાઈ કૃષ્ણાબેનને પાપડ, અથાણાં અને ઘરઉદ્યોગ ઉત્પાદનો બનાવવાની તાલીમ મળી. તાલીમમાં મફત માર્ગદર્શન, ઓછા વ્યાજે લોન અને મેળા-પ્રદર્શનો મારફતે વેચાણ પ્લેટફોર્મ વિશે માહિતી આપવામાં આવી.
આ તાલીમનો લાભ લઈને કૃષ્ણાબેન અને સખી મંડળની બહેનો પાપડ, અથાણાં અને અન્ય ઘરઉદ્યોગ ચીજવસ્તુઓનું પેકેજિંગ અને વેચાણ શરૂ કર્યું. તેમના પરિશ્રમનું પરિણામ મળે છે કે, આવક રૂ. 5 લાખ સુધી પહોંચી. તેઓને ભારત અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ કરાયેલા ‘લખપતિ દીદી’ અભિયાન હેઠળ સન્માનિત કરવામાં આવ્યું.
કૃષ્ણાબેન કહે છે, “દરેક મહિલામાં શક્તિ છુપાયેલી છે. ઘરની બહાર આવો અને સરકારની યોજનાઓનો લાભ લો. આજે હું મારી દીકરીના ફી ભરુ છું અને પૈસાની તंगीમાં નથી.” તેમણે જણાવ્યું કે, “આમ અમે સરકારી મેળા અને પ્રદર્શનમાં ભાગ લઇને અમારા ઉત્પાદનોનું વેચાણ કરી એક આગવી ઓળખ બનાવી છે.”
કૃષ્ણાબેન વાઘેલાએ સાબિત કર્યું છે કે હિંમત, અડગ વિશ્વાસ અને સરકારના સહયોગથી ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે.





