
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિટીમાં 52મા ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’નો ભવ્ય શુભારંભ ગુજરાત રાજ્યના રમતગમત રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામીતના કરકમળે કરવામાં આવ્યો હતો. વીરાંગના રાણી અબક્કાદેવીના શૌર્ય, સાહસ અને અડગ સંકલ્પને બિરદાવવા માટે આ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 23 ડિસેમ્બર સુધી ચાલશે.
આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ જિલ્લાઓની કુલ 134 કોલેજોના 5,400થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ 34 પ્રકારની વિવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક અને કલા આધારિત સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી રહ્યા છે. યુવા મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, નેતૃત્વ અને ટીમ વર્કની ક્ષમતાઓ વિકસાવવાનો ઉત્તમ અવસર મળી રહ્યો છે.
ઉદઘાટન પ્રસંગે રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામીતે પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળતા યુનિવર્સિટી સાથેનો આત્મીય નાતો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યુવા મહોત્સવ માત્ર સ્પર્ધાનો મંચ નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે, આ મહોત્સવ દ્વારા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે યુનિવર્સિટીની આગવી ઓળખ દર્શાવે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અભ્યાસ સાથે સંસ્કાર સિંચન પર ભાર મૂકવાથી વીર નર્મદ યુનિવર્સિટીએ વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. આજના યુવાનો આવતીકાલના ભારતનું નિર્માણ કરનાર છે, ત્યારે સ્વદેશી જીવનમૂલ્યોને અપનાવવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. વર્ષ 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ રમતો દેશ માટે ગૌરવનું કારણ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
યુવા મહોત્સવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિવિધ રંગારંગ કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ઉજવણીના માહોલમાં ફેરવાઈ ગયો હતો. રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ પ્રત્યે આદર અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે, જે શિક્ષણ જગત માટે પ્રશંસનીય પહેલ છે.





