
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની લાગણીનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામે આવેલ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલશ્રીએ રાત્રી વિશ્રામ કર્યો હતો. કોઈ વિશેષ વ્યવસ્થા કે વૈભવી સુવિધા વગર, સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં વિતાવેલી આ રાત્રી રાજ્યપાલશ્રીના સરળ જીવનશૈલીના દર્શન કરાવે છે.
રાત્રી વિશ્રામ દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરાઓ અને ગ્રામજીવનને નજીકથી સમજવાનો અનુભવ કર્યો હતો. ગામના લોકો સાથે આત્મીય સંવાદ, તેમની જીવનશૈલી, સમસ્યાઓ અને આશાઓને જાણવાની આ તક રાજ્યપાલશ્રી માટે ખાસ મહત્વની રહી. ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને જાતે અનુભવીને તેમણે ગામડાના વિકાસ માટે સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
સવારે રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે શિસ્ત, પરિશ્રમ અને સકારાત્મક વિચારસરણી દ્વારા કોઈપણ વિદ્યાર્થી પોતાનું અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે છે. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી અને તેમના અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ શિક્ષકોની ભૂમિકાને પણ બિરદાવતાં કહ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સતત પ્રયત્નોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો આ અનોખો અને પ્રેરણાદાયક અનુભવ ગ્રામ્ય ભારત સાથેના તેમના આત્મીય જોડાણને દર્શાવે છે. પલોલ ગામે કરાયેલું આ રાત્રી વિશ્રામ માત્ર એક ઘટના નહીં પરંતુ ગામડાં પ્રત્યેની લાગણી, સાદગી અને જનસંપર્કનું ઉત્તમ ઉદાહરણ છે, જે જનતા માટે પ્રેરણાસ્રોત બન્યું છે.





