બારડોલી તાલુકાના ઉમરખ ગામે વિદ્યાભારતી નર્સિંગ સ્કૂલમાં ‘ધૂમ્રપાન પ્રતિબંધ’ કાર્યક્રમ, યુવાનોને નશામુક્ત અને સ્વસ્થ ભારત માટે પ્રેરણા


બારડોલી તાલુકાના ઉમરખ ગામે આવેલી વિદ્યાભારતી નર્સિંગ સ્કૂલમાં ભારત સરકારની ‘તંબાકુ મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત ‘ધૂમ્રપાન પ્રતિબંધ’ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ (Tobacco Control Cell) દ્વારા યોજાયો હતો, જેમાં અંદાજે 100 વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને તંબાકુ અને ધૂમ્રપાન જેવી નશીલી આદતોથી દૂર રાખવાનો અને સ્વસ્થ તથા સશક્ત ભારતના નિર્માણ માટે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન યુવા પેઢીને નશાની લતથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને સિગરેટ, ગુટખા અને અન્ય તમાકુજન્ય પદાર્થોથી કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ અંગે સમજાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેવી રીતે નાની ઉંમરમાં શરૂ થતી નશાની આદત ભવિષ્યને અંધકારમય બનાવી શકે છે. સાથે જ શાળા, સમુદાય અને પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી. માતા-પિતા અને શિક્ષકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરના યુવાનો પર ધ્યાન રાખી તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરે, જેથી તેઓ કોઈપણ પ્રકારની લતનો શિકાર ન બને.

કાર્યક્રમ દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ, જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ અને કાનૂની જોગવાઈઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. યુવાનોને નશાથી દૂર રહેવા માટે રમતગમત, યોગ, વ્યાયામ અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વળવાની સલાહ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ દ્વારા નશામુક્તિ માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સૌએ તંબાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો હતો.

આ ‘ધૂમ્રપાન પ્રતિબંધ’ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાભારતી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં નશા વિરુદ્ધ સકારાત્મક વિચારધારા વિકસિત થઈ છે. આવા કાર્યક્રમો યુવા પેઢીને સ્વસ્થ, જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહાયક સાબિત થાય છે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *