
ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર ડો. નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ગુજરાત માટે ગૌરવનો ક્ષણ સર્જી છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય તથા પબ્લિક સર્વે ગ્રુપ ઓફ ઈન્ડિયાના સહયોગથી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાંથી પસાર થઈ ડો. નેહલ ગજેરાને વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે તેઓ આ એવોર્ડ મેળવનાર એકમાત્ર ગુજરાતી આયુષ ચિકિત્સક બન્યા છે.
આ ઉપરાંત આરોગ્ય ચિકિત્સામાં દર્દીઓ પ્રત્યે માનવીય સંવેદનશીલતા અને સમર્પિત સેવા બદલ તેમને એક્સેલેન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે દેશભરના ડોક્ટરોની કામગીરીનું પ્રોફાઇલ સર્વે, સૂક્ષ્મ નિરીક્ષણ, સ્ક્રુટિની, પ્રશ્નોત્તરી સેશન અને ત્યારબાદ જાહેર મતદાન જેવી કઠિન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં યોજાયેલી આ મતદાન પ્રક્રિયામાં સાત લાખથી વધુ વોટર્સ દ્વારા ડો. નેહલ ગજેરાની પ્રોફાઇલને મત આપવામાં આવ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને સેવાભાવનાનું પ્રતિબિંબ છે.
ડૉ. નેહલ ગજેરા છેલ્લા વીસ વર્ષથી ગાંધીનગર ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે તેમજ સોશિયલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બેટી બચાવો અભિયાન, માતા મરણ અટકાવવાનો કાર્યક્રમ, કિશોરી સ્વાસ્થ્ય યોજના અને મહિલા જનજાગૃતિ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ક્લિનિકલ રિસર્ચ, ન્યૂટ્રિશન અને લાઈફસ્ટાઈલ ડિસીઝમાં નિષ્ણાત એવા ડો. નેહલ ખાસ કરીને ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓને આહાર, વિહાર અને જીવનશૈલી પરિવર્તન દ્વારા સ્વસ્થ જીવન તરફ દોરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનાથ દીકરીઓના શિક્ષણમાં સહાયરૂપ થતી સેવાઓમાં પણ સતત અગ્રેસર રહ્યા છે.
આ સન્માન અંગે પ્રતિભાવ આપતાં ડો. નેહલ ગજેરાએ જણાવ્યું હતું કે, “ડોક્ટર તરીકે આરોગ્ય સેવા મારું ધ્યેય છે. દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ જીવન તરફ દોરવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહ્યો છું. કેન્દ્ર સરકાર દ્વારા મારા કાર્યને માન્યતા મળી તે મારા માટે ગૌરવની વાત છે.”





