વેલણપુરના વનમાલિભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી ઊભી કરી સ્વાવલંબનની મિસાલ, લાખોની આવક મેળવી


સુરત જિલ્લાના અંબિકા (મહુવા) તાલુકાના વેલણપુર ગામના ભાથેલ ફળિયામાં રહેતા નિવૃત્ત કૃષિ વિસ્તરણ અધિકારી શ્રી વનમાલિભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવાને બદલે તેમણે ખેતીને જીવનનું સક્રિય ધ્યેય બનાવ્યું અને આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

શ્રી વનમાલિભાઈ પટેલે એક એકર જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ઘણી શંકાઓ હતી, ખાસ કરીને “રસાયણિક ખાતર વિના ખેતી શક્ય નથી” એવી માનસિકતા સામે તેમણે પડકાર સ્વીકાર્યો. આજે તેઓ 10 એકર જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી મિશ્ર પાકોની ખેતી કરી રહ્યા છે. તુરીયા, રીંગણા, મરચાં, દૂધ ઉત્પાદન અને શેરડી જેવા વિવિધ પાકો દ્વારા તેમણે ખેતીને વધુ લાભદાયી બનાવી છે.

મિશ્ર પાક પ્રણાલીના કારણે જમીનની ઉર્વરતા વધેલી છે તેમજ ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર શાકભાજી સહિતના મિશ્ર પાકોમાંથી તેમણે રૂ. 1.40 લાખ જેટલી આવક મેળવી છે. સાથે સાથે દેશી ગાયોના સંરક્ષણ અને ઉપયોગ તરફ પણ તેમણે વિશેષ ધ્યાન આપ્યું છે. બે દેશી ગાયો માટે ગૌશાળા બનાવી, ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘનજીવામૃત તથા અન્ય પ્રાકૃતિક દવાઓ તૈયાર કરીને ખેતીમાં ઉપયોગ કરતાં જમીનની ગુણવત્તા વધારી છે, જેના કારણે પાકનું મૂલ્ય પણ વધ્યું છે.

વનમાલિભાઈ પટેલ કહે છે કે, “રસાયણિક ખાતર વિના ખેતી શક્ય નથી” એવી માનસિકતા ખોટી છે. પ્રાકૃતિક ખેતી માત્ર આરોગ્યદાયક જ નથી પરંતુ લાંબા ગાળે ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે. તેમની આ સફળતાએ આસપાસના ખેડૂતો અને યુવાનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા છે.

આ રીતે વનમાલિભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને માત્ર આવકનું સાધન નહીં પરંતુ સ્વાવલંબન અને પ્રેરણાનું પ્રતિક બનાવી છે.


  • Related Posts

    જૂનાગઢમાં કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ICDS અને અપરાજીતા ફાઉન્ડેશન વચ્ચે MoU


    જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 15 થી 18 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન…


    જૂનાગઢમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખાણોની IBM નોંધણી માટે વિશેષ શિબિર યોજાઈ


    જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ ખનિજમાંથી…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *