
દક્ષિણ ગુજરાતના મહુવા, વાલોડ, ડોલવણ, વ્યારા, વાંસદા, ચીખલી, નવસારી અને બારડોલી જેવા વિસ્તારોમાં યુવાનો, મહિલાઓ અને આદિવાસી નાગરિકોના જીવનમાં નવી દિશા આપતું એક સંસ્થાનું નામ આજે ગૌરવપૂર્વક લેવામાં આવે છે – ‘દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વસરાઈ’. અંબિકા તાલુકાના વસરાઈ ગામે, મહુવા–અણાવલ રાજ્ય ધોરીમાર્ગ નજીક સ્થિત આ સંસ્થા ક્રિકેટના મેદાનમાંથી શરૂ થયેલી સમાજસેવાની સર્જનાત્મક યાત્રાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
‘Social Building to Nation Building’ના લક્ષ્ય સાથે દિશા ફાઉન્ડેશન 10 એકર જમીન પર ₹10 કરોડથી વધુના વિકાસ કાર્યો કરી રહી છે. અહીં રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ જેમ કે કાર્યાલય, સાંસ્કૃતિક ભવન, પુસ્તકાલય, ઓડિટોરિયમ, અદ્યતન ટ્રેનિંગ હોલ, રમતગમત સંકુલ, આદિવાસી મ્યુઝિયમ, સંશોધન કેન્દ્ર તથા ગૌશાળા નિર્માણાધીન છે.
મહુવા તાલુકો ક્રિકેટપ્રેમીઓ માટે ઓળખાયેલો વિસ્તાર રહ્યો છે. વસરાઈ મેદાન પર સીઝન ક્રિકેટની મફત કોચિંગ આપવામાં આવે છે, જ્યાં અંડર-16 અને અંડર-19ના ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમની સમીક્ષા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કોચ શ્રી રાજ શર્મા (દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા) દ્વારા પણ કરવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રે પણ દિશા ફાઉન્ડેશન અનોખું યોગદાન આપી રહી છે. UPSCના વર્ગો દર રવિવારે તથા GPSC, GSRTC, બેન્કિંગ, TAT/TAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દર શનિવારે નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ મફત માર્ગદર્શન આપવામાં આવે છે. નોટબુક વિતરણ, વિદ્યાર્થી દત્તક યોજના અને શૈક્ષણિક સહાય દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સંસ્થાએ આરોગ્ય અને સમાજસેવા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી છે – મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, નેત્રદાન યજ્ઞ, મફત કાનૂની માર્ગદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, આંતરરાજ્ય સેમિનાર અને આદિવાસી ભોજન મહોત્સવ જેવી પ્રવૃત્તિઓ સતત યોજાય છે.
રમતગમતને પ્રગતિનું સાધન બનાવી, ધોડિયા સમાજ ટુર્નામેન્ટ, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, ઓલ ગુજરાત કબડ્ડી અને વોલીબોલ ટુર્નામેન્ટ, મેરાથોન દોડ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દિશા ગ્રીન મિશન અંતર્ગત ચાલુ વર્ષથી ખાલી પ્લોટોમાં એક લાખ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
23 થી 25 ડિસેમ્બર 2029 દરમિયાન વસરાઈ ખાતે યોજાનાર રાષ્ટ્રીય આદિવાસી મેળામાં પણ દિશા ફાઉન્ડેશનનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
“સમાજ આપણને શું આપે છે?” નહીં, પરંતુ “અમે સમાજ માટે શું કરી શકીએ?” – આ સંકલ્પ સાથે, સંસ્થાના સ્થાપક અને સભ્યો સ્વયં નાણાંકીય યોગદાન આપી રહ્યા છે. અત્યાર સુધી કોઈ દાન માગ્યા વિના, સ્વપ્રેરિત રીતે મળેલું આ સહકાર આદિવાસી વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે.





