
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે આવેલી શ્રી આર.વી. પટેલ ઉચ્ચ માધ્યમિક શાળાના નવનિર્મિત સુવિધાસભર ભવનનું લોકાર્પણ રાજ્યના રમતગમત તથા અન્ય વિભાગોના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગમીતના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે દાતાઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી આર.વી. પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા બાજીપુરામાં નિર્માણ પામેલા શ્રીમતી માયુરીબેન કલ્પેશભાઈ પટેલ અને શ્રીમતી ચંપાબેન સોમભાઈ પટેલ ભવનનું ઉદ્ઘાટન મુખ્ય દાતા કલ્પેશભાઈ પટેલ તથા પટેલ પરિવાર દ્વારા રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. દસથી વધુ દાતાઓના સહયોગથી તૈયાર થયેલું આ સુવિધા ભવન ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ અવસરે રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગમીતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ ભાર મૂકે છે. રાજ્ય સરકાર પણ તાપી જિલ્લામાં શિક્ષણની જ્યોત વધુ પ્રગટ થાય અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે દાતાઓ દ્વારા કરવામાં આવતું દાન સમાજ માટે દીર્ઘકાળ સુધી ફળદાયી સાબિત થાય છે અને આવા સેવાકાર્યો અન્યને પણ પ્રેરણા આપે છે.
ડૉ. ગમીતે જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી નિર્માણ પામેલું આ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શિક્ષણ સાથે સંસ્કાર અને રમતગમતનો વિકાસ થાય તે માટે પણ આવા સુવિધાસભર ભવનો જરૂરી છે.
આ કાર્યક્રમમાં પ્રખ્યાત લેખક જય વસાવડા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ગોવિંદ ગાંગોડા, બાજીપુરા કેલવણી મંડળના પ્રમુખ આશેષભાઈ ભક્ત, સોમભાઈ પટેલ, દયારામભાઈ ભક્ત, સમીરભાઈ ભક્ત, ઠાકોરભાઈ પટેલ, વિવેકભાઈ પટેલ સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ નવું ભવન તાપી જિલ્લાના શિક્ષણ વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે નોંધપાત્ર બનશે.





