
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આરોગ્યની સાચી દરકાર એટલે સુશાસન, તે વાતને સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના પોરબંદર જિલ્લામાં સામે આવી છે. પોરબંદર જિલ્લાના છાંયા વિસ્તારના 45 વર્ષીય શ્રમિક મહિલા રમાબેન મનોજભાઈ ડાભીએ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)નો લાભ લઈ કેન્સર જેવી ગંભીર બીમારી સામે સફળતાપૂર્વક જીત મેળવી છે.
રમાબેન દૈનિક શ્રમ પર આધારિત પરિવારથી આવે છે. અચાનક ગંભીર બીમારીના લક્ષણો દેખાતા તપાસ દરમિયાન કેન્સર હોવાનું નિદાન થયું. આ સમાચાર પરિવાર માટે આર્થિક અને માનસિક રીતે ભારે આઘાતજનક હતા, કારણ કે મોંઘી સારવારનો ખર્ચ ઉપાડવો શક્ય નહોતો. પરંતુ સરકારની PMJAY-MA યોજના તેમના માટે આશાની કિરણ બની.
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રમાબેનને ખાનગી હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત સારવાર મળી. ઓપરેશનથી લઈને દવાઓ, તપાસ અને અનુસંધાન સારવાર સુધીનો સમગ્ર ખર્ચ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો. પરિણામે પરિવાર પર કોઈ આર્થિક ભાર ન પડ્યો અને રમાબેન સ્વસ્થ જીવન તરફ આગળ વધી શક્યા.
રમાબેન અને તેમના પરિવારજનોએ જણાવ્યું કે જો આ યોજના ન હોત, તો કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર કરાવવી અશક્ય બની જાત. સરકારની આરોગ્ય યોજનાએ તેમને નવું જીવન આપ્યું છે. તેઓએ સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
PMJAY-MA યોજના આજે પોરબંદર જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની છે. જિલ્લામાં અત્યાર સુધી 3 લાખથી વધુ નાગરિકોને આ યોજના હેઠળ મફત અને ગુણવત્તાયુક્ત સારવારનો લાભ મળ્યો છે. મોટી સર્જરીઓ, ગંભીર બીમારીઓની સારવાર અને મોંઘી દવાઓનો ખર્ચ બચતા અનેક પરિવારોને સુરક્ષિત જીવન મળ્યું છે.
રાજ્ય સરકારની આ યોજના સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં કોઈ પણ નાગરિક માત્ર પૈસાની અછતના કારણે સારવારથી વંચિત ન રહે. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું સંબળ બની છે અને આરોગ્ય ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરી રહી છે.





