
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લાના 1 લાખથી વધુ ખેડૂતોને યોજનાનો સીધો લાભ મળ્યો હતો.
છોટાઉદેપુર શહેરના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને “મિલેટ મેળો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખેતીવાડી શાખા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ‘આત્મા’ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ 2024-25 અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો પણ યોજાયો હતો. મેળામાં મિલેટ્સ એટલે કે ‘શ્રી અન્ન’ પાકોના પોષણમૂલ્ય અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને પોષણયુક્ત મિલેટ પાકોની ખેતી વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 1 ફેબ્રુઆરી 2019થી અમલમાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ યોજનાથી જિલ્લાના હજારો ખેડૂતોને નિયમિત આર્થિક સહાય મળી રહી છે. તેમણે ખેડૂતોને વિસરાતા જતાં ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટ્સ પાકો વાવવા અને તેનો રોજિંદા આહારમાં ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પણ હાકલ કરી હતી.
આ પ્રસંગે આસામથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યું હતું.
જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે છોટાઉદેપુર જિલ્લાના તમામ સાતેય તાલુકા મથકો પર પણ સમાંતર રીતે કૃષિ મેળા અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત ખેતીવાડી અધિકારી દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, સ્થાનિક પદાધિકારીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





