
નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને આવનારા મહત્વપૂર્ણ કાર્યક્રમોને ધ્યાનમાં રાખી વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
વિશેષ કરીને ડાકોર ખાતે યોજાનારા ફાગણોત્સવને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, મોબાઈલ ટોયલેટ, ટ્રાફિક વ્યવસ્થાપન, સુરક્ષા તેમજ આરોગ્ય સેવાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. લાખો ભક્તો અને મુલાકાતીઓને સુવિધા મળે તે માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી. સાંસદશ્રીએ જણાવ્યું કે ડાકોર ફાગણોત્સવ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તેની ખાસ કાળજી લેવાય.
બેઠક દરમિયાન આવનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે પણ ચર્ચા થઈ. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ મળે તે માટે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રીએ શિક્ષણ વિભાગ અને સંબંધિત અધિકારીઓને પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને વિઘ્નરહિત રીતે પૂર્ણ થાય તેની ખાતરી કરવા જણાવ્યું.
આ ઉપરાંત નવરચિત ફાગવેલ તાલુકામાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે પણ વિચારવિમર્શ થયો. માર્ગ, પીવાનું પાણી, વિજ પુરવઠો, શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ સહિતના વિકાસકાર્યો માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા પર ભાર મૂકાયો. વિકાસને ગતિ આપવા વિભાગીય સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ધ્યાન દોરાયું.
બેઠકમાં જિલ્લા સ્તરના અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા સંકલન સમિતિની આ બેઠક જનહિતના મુદ્દાઓના અસરકારક અમલીકરણ અને વિકાસકાર્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.





