
જામનગર જિલ્લામાં તા.૨૩ અને ૨૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ બાદ કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા.૨૩ના રોજ રિલાયન્સ રિફાયનરી અને તા.૨૪ના રોજ કલેક્ટર કચેરી તેમજ ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ અને જિલ્લા તંત્રોએ સંકલિત રીતે ભાગ લીધો હતો.
આ રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ મોકડ્રિલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા પોલીસ, વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. મોકડ્રિલ બાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને એનએસજીના કમાન્ડોની ઉપસ્થિતિમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
બેઠક દરમિયાન મોકડ્રિલ દરમિયાન અપનાવાયેલા પ્રોટોકોલ, સમયસર પ્રતિસાદ, વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન અને સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની, ઇન્સીડન્ટ કમાન્ડરો, ચેતક કમાન્ડો, રિલાયન્સના પ્રતિનિધિઓ તેમજ એનએસજી અધિકારીઓએ પોતાના અનુભવો અને લર્નિંગ પોઈન્ટ્સ રજૂ કર્યા હતા.
જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીએ ભવિષ્યમાં વધુ સુદ્રઢ આયોજન, નિયમિત તાલીમ અને ટેકનિકલ સુધારાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ વિભાગોને આંતરિક સમન્વય વધુ મજબૂત બનાવવાની સૂચનાઓ આપી હતી. આ મોકડ્રિલથી જિલ્લામાં સંભવિત આતંકી પરિસ્થિતિનો સામનો કરવા તંત્રોની તૈયારી વધુ સશક્ત બની હોવાનું તેમણે જણાવ્યું.
એનએસજીના કમાન્ડર જીતેન્દ્ર શુક્લ અને લક્ષ્ય જૈને જિલ્લાની ટીમોના સંકલિત પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળે તાત્કાલિક પ્રતિસાદ, ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર, વિસ્તાર સીલ કરવો અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
મોકડ્રિલ દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓ પાસે આધુનિક સાધનો અને સુસજ્જ એક્શન પ્લાન તૈયાર હતા, જે સંભવિત આતંકી હુમલા જેવી પરિસ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે. જામનગરમાં યોજાયેલી આ રાષ્ટ્રીય સ્તરની એકસરસાઈઝથી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં વધુ મજબૂતી આવી હોવાનું અધિકારીઓએ નિર્દેશ આપ્યો હતો.





