
દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાઓને ગામડાં સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા “ગ્રામ્ય આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોધાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટના દિશાનિર્દેશન હેઠળ આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના કુલ 102 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રોના વિસ્તારમાં વિશાળ પાયે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરોમાં કુલ 5,882 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો, જેમાં 3,264 મહિલાઓ અને 2,618 પુરુષોનો સમાવેશ થાય છે. ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે દિશામાં આ પ્રયાસ ખૂબ જ અસરકારક સાબિત થયો છે.
આ આરોગ્ય શિબિરો દરમિયાન ગર્ભવતી મહિલાઓની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી તેમજ અસારકારી રોગોની (NCD) સ્ક્રીનિંગ જેવી સેવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમ હેઠળ 360 ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવી, જ્યારે 312 લોકોના પી.એમ. જય આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા. 1,844 લાભાર્થીઓની સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
અસારકારી રોગોની વહેલી ઓળખ માટે ડાયાબિટીસના 2,417 અને બ્લડ પ્રેશરના 2,499 ચકાસણીઓ કરવામાં આવી હતી. સાથે જ 179 લોકોની સિકલ સેલ તપાસ, 172 ટીબી તપાસ, 347 કેન્સર સ્ક્રીનિંગ અને 36 લોકોને રસીકરણ સેવા આપવામાં આવી હતી. આ તમામ સેવાઓ દ્વારા રોગોની વહેલી ઓળખ અને યોગ્ય સારવાર શક્ય બની છે.
“ગ્રામ્ય આરોગ્ય કિરણ” કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો હવે નિયમિત આરોગ્ય તપાસનું મહત્વ સમજી રહ્યા છે અને સમયસર સારવાર મેળવી રહ્યા છે. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયાસ ખરેખર ગામડાઓ માટે આરોગ્યની કિરણ સાબિત થયો છે, જે ભવિષ્યમાં પણ ગ્રામ્ય જનતાના સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.





