
જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દી અંગે યોગ્ય દિશા મળે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા કેશોદ ખાતે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરના ભાગરૂપે આ કાર્યક્રમ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ–કેશોદ ખાતે યોજાયો હતો.
સેમિનારમાં રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. નવી નામ નોંધણી (Registration), રીન્યુઅલ, અપડેશન જેવી પ્રક્રિયાઓ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલમાં મુકાતી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી, જેમાં ઔદ્યોગિક ભરતી મેળા, સ્વરોજગાર શિબિર, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમો, આર્મી નિવાસી તાલીમ યોજના અને કાઉન્સેલિંગ સેવાઓનો સમાવેશ થાય છે.
રોજગાર કચેરીના કાઉન્સેલર શ્રી એસ. ડી. યાદવે વિદ્યાર્થીઓને રિઝ્યુમે કેવી રીતે તૈયાર કરવું, ઇન્ટરવ્યૂના પ્રકારો, ઇન્ટરવ્યૂ દરમિયાન રાખવાની બાબતો અને આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું. ઉપરાંત જિલ્લાની વિવિધ તાલીમ સંસ્થાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને યોગ્ય ક્ષેત્ર પસંદ કરવા પ્રેરણા આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ રોજગાર તકો, સરકારી યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પ્રશ્નો પૂછ્યા, જેના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા. આ પ્રકારના માર્ગદર્શન સત્રો યુવાઓને યોગ્ય દિશા આપીને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી શ્રી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા કારકિર્દીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમો યોજવાની યોજના વ્યક્ત કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે.





