
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે સોમનાથ મહાદેવના પાવન દર્શન કર્યા હતા. આ અવસરે તેમણે મંદિર પરિસર સહિત સોમનાથના મહત્વના સ્થળોની મુલાકાત લઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. 11મી જાન્યુઆરીના સૂચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળ પર જઈને આયોજન, સુરક્ષા અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ તથા ગૂડલક સર્કલ સુધી ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે માર્ગ વ્યવસ્થા, વાહન વ્યવહાર નિયંત્રણ, શ્રદ્ધાળુઓની અવરજવર, સ્વચ્છતા, લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ વિભાગોને સમયસર અને સુવ્યવસ્થિત આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, નાયબ મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં પરંતુ રાષ્ટ્રીય આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા હોવાથી વ્યવસ્થાઓ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા, ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય સુવિધાઓ તથા દર્શન માટેની વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને દરેક સ્તરે સંકલન જળવાઈ રહે.
અંતમાં, નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસને ઐતિહાસિક અને સફળ બનાવવામાં આવશે.





